જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટમાં જર્મન ટેક્નોલોજીથી તૈયાર ગણપતિ પંડાલની સજાવટ જોવા મળી રહી છે. એટલું જ નહિ, અહીંની મુખ્ય વિશેષતા એ છે કે દર વર્ષે ગણપતિ બપ્પાની આસપાસ સફેદ ઉંદરો સાંજની આરતીથી લઇ રાત્રિના 12 વાગ્યા સુધી સતત પ્રદક્ષિણા કરતા જોવા મળે છે, જે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. 10 દિવસ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરી લાડુ સ્પર્ધા, પાણીપુરી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બહેનો માટે દાંડિયારાસ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા છેલ્લાં 16 વર્ષથી જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે મહેલ થીમ સાથે ખાસ ડેકોરેશન કરવામાં આવ્યુ છે, જેમાં કોઈ રાજાના મહેલમાં જેમ શણગાર સજાવટ હોય એમ સજાવટ જોવા મળી રહી છે. ખાસ આ વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટમાં જર્મન ટેક્નોલોજીની મદદથી બનેલા એસી ડોમ સાથે ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણ એસી ડોમ છે. લગભગ 50 ફૂટ પહોળાઈ અને 80 ફૂટ લંબાઈ ધરાવતો સંપૂર્ણ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
સરકારના નિયમ મુજબ અહીં ગણપતિ દાદાની 9 ફૂટની મૂર્તિ મૂકવામાં આવી છે અને મૂર્તિના ફરતે સાંજના આરતીના સમયથી લઇ રાત્રિના 13 વાગ્યા સુધી 5 જેટલા સફેદ ઉંદર વિઘ્નહર્તાની પ્રદક્ષિણા કરતા હોય છે. આગમનથી વિસર્જન સુધી 10 દિવસના આયોજનમાં લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. આ આયોજનમાં રાજકોટમાંથી દરરોજના કુલ 50,000 જેટલા ભક્તો બપ્પાના આશીર્વાદ લેવા ખાસ આવતા હોય છે. દરરોજ સાંજે 8 વાગ્યે મહાઆરતી અને 9થી 12 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.